જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરદ પૂર્ણિમાના અવસર પર આયોજિત ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન છરી વડે હુમલાની ઘટના
જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કાર્યકર્તા ઘાયલ થયા હોવાની વિગતો છે

જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કાર્યકર્તા ઘાયલ થયા હોવાની વિગતો છે. ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડીસીપી અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે તેઓ હોસ્પિટલ ગયા છે અને ઘાયલોને મળ્યા છે. રાજસ્થાનમાં કાયદાનું રાજ રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા સાથે વાતચીત કરતા કર્નલ રાઠોડે કહ્યું કે, ‘ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના વાસણને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવ્યા હતા. આ દરમિયાન તેમણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તે લોકોને ત્યાં પકડી લીધા અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.
રાજસ્થાન ભાજપના ભૂતપૂર્વ વડા અરુણ ચતુર્વેદીએ જણાવ્યું કે, આરએસએસ શરદ પૂર્ણિમાના અવસર પર ખીર વહેંચવાનો કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જ્યાં અચાનક ચાકુ અને અન્ય હથિયારોથી સજ્જ હુમલાખોરોએ સભામાં હુમલો કર્યો અને લોકોને ઈજા પહોંચાડી હતી. ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આજે કરણી વિહાર પોલીસ સ્ટેશન હેઠળના રજની વિહારમાં સંઘના કાર્યક્રમ દરમિયાન સંઘના સ્વયંસેવકો પર કેટલાક અસામાજિકોએ હુમલો કર્યો હતો. માહિતી મળતાં તેઓ તાત્કાલિક અસરથી એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા અને તમામ ઘાયલ સ્વયંસેવકોની સંભાળ લીધી. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે