આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી નહીં લડે : આમ આદમી પાર્ટી પોતાનું સંપૂર્ણ ફોકસ દિલ્હી ચૂંટણી પર રાખવા માંગે છે ,
મહારાષ્ટ્રમાં ’આપ’નું રાજ્ય એકમ સંગઠનાત્મક વિસ્તરણ માટે કેટલીક બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, તેમ છતાં તેને ’આપ’ના ટોચનાં નેતૃત્વની મંજૂરી મળવાની શક્યતા નથી.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી શક્યતા છે.
આમ આદમી પાર્ટી પોતાનું સંપૂર્ણ ફોકસ દિલ્હી ચૂંટણી પર રાખવા માંગે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ’આમ આદમી પાર્ટી ઈન્ડિયા બ્લોકને મજબૂત કરવા પર ધ્યાન આપવા માંગે છે. જોકે મહારાષ્ટ્રમાં ’આપ’નું રાજ્ય એકમ સંગઠનાત્મક વિસ્તરણ માટે કેટલીક બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, તેમ છતાં તેને ’આપ’ના ટોચનાં નેતૃત્વની મંજૂરી મળવાની શક્યતા નથી.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, તેમનું ધ્યાન દિલ્હી પર છે અને અમે મહારાષ્ટ્રના મતદારોના મનમાં વધુ ભ્રમણા પેદા કરવા માંગતા નથી.આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે દિલ્હી ચૂંટણી માટે બૂથ તૈયારીઓ અંગે પાર્ટીનાં મુખ્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યથી લઈને બૂથ સ્તર સુધીનાં પક્ષનાં અધિકારીઓએ ભાગ લીધો હતો.
સંદીપ પાઠકે કાર્યકરો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ’આપ’ વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દિલ્હીમાં પહેલાથી જ મજબૂત સંગઠનને વધુ મજબૂત કરવાની અને રાજ્યનાં દરેક બૂથને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.’
તેમણે કહ્યું, ’જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ ફરી એકવાર ’આપ’ વિરુદ્ધ કાવતરું કરશે.’ તેમણે દરેકને ભાજપની જાળમાં ન ફસાવા અને માત્ર દિલ્હીનાં લોકો માટે કામ કરવાની તેમની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી.


