બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા આકાર પામ્યો છે. જેના કારણે હાલ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે.
મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે

બંગાળની ખાડીમાં ઉદ્દભવવા જઈ રહેલા ચક્રવાત ‘દાના’ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.
મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.
IMDએ રવિવારે જણાવ્યું હતું કે, 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. હવામાનના વિશેષ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આંદામાન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે.
ત્યારબાદ, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 થી 25 ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
23 ઓક્ટોબરથી ઓડિશાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ 24-25 ઓક્ટોબરે 20 સેમી વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.