વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના ; શુક્રવારે છઠ્ઠી BIMSTEC સમિટમાં હાજરી આપશે.
આ સમિટમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેશે. આ વડાપ્રધાન મોદીની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત હશે. આ પછી પીએમ મોદી શ્રીલંકા જવા રવાના થશે.
પહેલા પીએમ મોદી થાઈલેન્ડમાં BIMSTEC સમિટમાં ભાગ લેશે જેમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થશે. આ સમિટમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેશે. આ પછી, વડાપ્રધાન મોદી 4 થી 6 એપ્રિલ દરમિયાન શ્રીલંકાની રાજકીય મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી ભારતની નાણાકીય સહાયથી અહીં અમલમાં મુકાયેલા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
આ સમિટની મુખ્ય ખાસિયતોમાં 6ઠ્ઠા BIMSTEC સમિટ ઘોષણાપત્રનો સ્વીકાર સામેલ છે, જે નેતાઓના વિઝન અને દિશા નિર્દેશોને હાઈલાઇટ કરશે. સાથે જ ઐતિહાસિક બેંગકોક વિઝન 2030, ભવિષ્યના સહયોગને વધારવા માટેનો પ્રથમ વ્યૂહાત્મક રોડમેપ હશે. પ્રાદેશિક સંપર્કની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે બધા દેશોના નેતાઓ દરિયાઈ પરિવહન સહકાર કરાર પર પણ હસ્તાક્ષર કરશે, જેનો હેતુ બંગાળની ખાડીમાં વેપાર અને યાત્રાને વિસ્તૃત કરવાનો છે.
BIMSTEC અંગે એક નિવેદન જારી કરતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “નેતાઓ BIMSTEC માળખામાં સહયોગ વધારવા માટે વિવિધ સંસ્થા અને ક્ષમતા નિર્માણના પગલાં પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારત પ્રાદેશિક સહયોગ અને ભાગીદારીને મજબૂત બનાવવા માટે BIMSTEC માં અનેક પહેલ કરી રહ્યું છે, જેમાં સુરક્ષા વધારવા, વેપાર અને રોકાણને સરળ બનાવવા, ભૌતિક, દરિયાઈ અને ડિજિટલ કનેક્ટિવિટી સ્થાપિત કરવા, ખોરાક, ઉર્જા, આબોહવા અને માનવ સુરક્ષામાં સહયોગ કરવા, ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને લોકો-થી-લોકોના સંબંધો વધારવાનો સમાવેશ થાય છે.”
નિષ્ણાતો માને છે કે આ BIMSTEC સમિટ તેની વ્યૂહાત્મક દિશા નક્કી કરવામાં મદદરૂપ સાબિત થશે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરશે કે તે બંગાળની ખાડી વિસ્તારમાં આર્થિક વિકાસ, સુરક્ષા સહયોગ અને ટકાઉ વિકાસ માટે આ મંચ એક મહત્ત્વપૂર્ણ તાકાત બની રહે. ભારત BIMSTEC ના ચાર સ્થાપક સભ્યોમાંનો એક છે, જે સુરક્ષા, ઊર્જા અને આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રાદેશિક સહયોગનું નેતૃત્વ કરે છે. 2018 માં નેપાળના કાઠમંડુમાં આયોજિત ચોથા BIMSTEC સમિટ પછી BIMSTEC નેતાઓની આ પહેલી ઑફલાઇન બેઠક હશે. આ વખતે 6ઠ્ઠી BIMSTEC સમિટની થીમ “BIMSTEC – સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું” રાખવામાં આવી છે.
થાઇલેન્ડની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકાના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની રાજકીય મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા “સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન આપવાના” ના સંયુક્ત વિઝનમાં સંમત થયેલા સહકારના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે દિસાનાયકા સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી વરિષ્ઠ મહાનુભાવો અને રાજકીય નેતાઓ સાથે પણ બેઠક કરશે.


