ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે ,
અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો કમોસમી વરસાદે ખમૈયા નથી કર્યા, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી છ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી અઠવાડિયામાં અમદાવાદ, ગાંધીનગર સહીત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના 13 જિલ્લાઓ – અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતા અઠવાડિયામાં 18-21 મે સુધીમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર અને દીવમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 22મી મેના રોજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ; મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર; દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લા તથા દીવમાં વરસાદની આગાહી થવાની સંભાવનાઓ છે.