જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ ૯માં અભ્યાસ કરતા એક ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
DYSP દિનેશ કોડીયાતરે આ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું કે, અરવિંદભાઈ ગોરાશાના નવમા ધોરણમાં અભ્યાસ કરતા પુત્રને ધોરણ ૧૦ માં ભણવામાં ધ્યાન આપવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ ૯માં અભ્યાસ કરતા એક ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પગલું ભરવા પાછળનું કારણ અભ્યાસ બાબતે પિતા દ્વારા અપાયેલો ઠપકો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
માળિયા હાટીના ખાતે કટલેરીનો વેપાર કરતા અરવિંદ વીરજી ગોરાશાનો ૧૪ વર્ષીય પુત્ર કે જેણે ધોરણ ૯નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ધોરણ ૧૦ એસએસસી બોર્ડમાં પ્રવેશ મેળવવાનો હતો. મળતી વિગતો મુજબ, ધોરણ ૧૦ જેવા મહત્વના બોર્ડમાં પ્રવેશ પહેલાં માતા પિતા દ્વારા તેને ભણવા બાબતે વધુ ધ્યાન આપવા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો.
આ ઠપકો કિશોરના મનમાં લાગી આવતા તેણે સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હતી તે દરમિયાન ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. કિશોરને તાત્કાલિક માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં અને માળિયા હાટીના પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ કરુણ ઘટના અંગે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. માળિયા હાટીનાના DYSP દિનેશ કોડીયાતરે આ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું કે, અરવિંદભાઈ ગોરાશાના નવમા ધોરણમાં અભ્યાસ કરતા પુત્રને ધોરણ ૧૦ માં ભણવામાં ધ્યાન આપવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો. જોકે, પુત્રને આ ઠપકો મનમાં લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોત નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
DYSP કોડીયાતરે આ ઘટનાના સંદર્ભમાં વાલીઓને એક મહત્વપૂર્ણ અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના વાલીઓ માટે એક ચેતવણીરૂપ છે. બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે, પરંતુ તેમના પર બિનજરૂરી કે અતિશય દબાણ ટાળવું જોઈએ. બાળકો પર અભ્યાસનું બિનજરૂરી દબાણ તેમને આવા ગંભીર પગલાં ભરવા માટે પ્રેરિત કરી શકે છે. વાલીઓએ બાળકો સાથે સંવાદ જાળવી રાખવો અને તેમની ભાવનાઓને સમજવી ખૂબ જ જરૂરી છે. આ દુઃખદ ઘટનાએ શિક્ષણ અને વાલીપણાના દબાણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.