ગુજરાતમાં 15 જગ્યાએ આઈટી વિભાગના દરોડા ; ખોટી રીતે ટીડીએસ, કર માફીનો લાભ મેળવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમણે તાત્કાલિક રિવાઇઝ ITR ફાઇલ કરવા પડશે, નહીં તો તેમના સામે વધુ કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. આ દરોડાની કામગીરી માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી નથી

ગુજરાતમાં આવકવેરા વિભાગે એક સાથે 15 સ્થળોએ દરોડા પાડી ચકચાર મચાવી છે. આવી કાર્યવાહીનો મુખ્ય હેતુ ખોટી રીતે TDS (Tax Deducted at Source) મેળવવા અને ખોટી રીતે કર માફીનો લાભ લેતા વેપારીઓ અને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવો રહ્યો છે.
આ દરોડાઓ આજે ગુજરાતના અમદાવાદ (3 સ્થળ), સુરત (4), અંકલેશ્વર (1), વાપી (1), પાટણ (2), ભરૂચ (1), રાજકોટ (1), ગોંડલ (1), ધોરાજી અને મહિસાગરમાં મળીને કુલ 15 સ્થળોએ સાગમટે તપાસ હાથ ધરાયા હતા.
આ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગે ચકાસણીમાં જણાવ્યું કે ઘણા વેપારીઓ અને વ્યક્તિઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રેક્ટીશનર્સની મદદથી ખોટા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરીને સરકારની જોગવાઈઓનો દુરુપયોગ કરતા હતા. આ રીતે ઇનામની રીતે રિફંડ મેળવવા, કર માફીનો લાભ લેવા તથા પોતાની આવક છુપાવવાની પ્રવૃત્તિઓ થતી હતી.
વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જેમણે ખોટા રિટર્ન ફાઇલ કર્યા છે, તેમણે તાત્કાલિક રિવાઇઝ ITR ફાઇલ કરવા પડશે, નહીં તો તેમના સામે વધુ કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. આ દરોડાની કામગીરી માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી નથી. આવકવેરા વિભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.
વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર, કેટલાક કેસોમાં લાખો રૂપિયાના ખોટા ક્લેઈમ દર્શાવીને ટેક્સ રિફંડ લેવામાં આવ્યા હતા. આવા કેસોમાં સંડોવાયેલા કેટલાક CA અને ટેક્સ પ્રેક્ટીશનર્સની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં હલચલ મચી ગઈ છે. આવકવેરા વિભાગે લોકોને ચેતવણી આપી છે કે ખોટી માહિતી દર્શાવવી કે દસ્તાવેજોનો દુરુપયોગ કરવો ગુનાહિત પ્રવૃત્તિમાં ગણાય છે અને આવી પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી આવકવેરા વિભાગની ટ્રાન્સપરન્સી અને ટેક્સ સિસ્ટમમાં વૈધતા જાળવવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.