ગુરૂવારથી મોજે મોજ પાંચ દિવસના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો થશે રંગારંગ પ્રારંભ ,
પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે : ખાલી રહેલા સ્ટોલ સામાજીક સંસ્થાઓને ફાળવાશે : તૈયારીઓને અપાતો આખરીઓપ

રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તા.14થી આયોજીત કરાયેલા પાંચ દિવસીય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાના તૈયારીઓને હવે આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો રંગારંગ પ્રારંભ આગામી તા.14મીને ગુરૂવારે સાંજે જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે.
જન્માષ્ટમીના આ લોકમેળાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સજજ બની રહ્યા છે. લોકો હવે ફેસ્ટીવલના મૂડમાં આવી ગયા છે. ગુરૂવાર સાંજથી લોકમેળાની રંગત જામી ઉઠશે.
લોકમેળાના 24 જેટલા સ્ટોલો આ વખતે ખાલી રહ્યા હોય જેની અપસેટ પ્રાઈઝ મુજબ જ વહીવટી તંત્ર દ્વારા જે વેપારીઓ સ્ટોલ માટે આવે તેની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમ છતા જો સ્ટોલ નહીં ફાળવાય તો તે સામાજીક સંસ્થાઓને ફાળવી દેવામાં આવનાર છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન ભારે વરસાદ ખાબકી પડતા લોકમેળો રદ્દ કરવામાં આવેલ હતો. આમ ગત વર્ષે રાજકોટના નગરજનો લોકમેળાને મહાલી શકેલ ન હતા. જેને લઈને આ વખતે લોકમેળાને મહાલવા માટે લોકોમાં અત્યારથી જ ઉત્સાહ છવાઈ જવા પામેલ છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ લોકમેળાની 34 જેટલી અવનવી મોટી રાઈડસ પણ તૈયાર કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મેળામાં લોકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. મેળામાં કલેકટર તંત્ર ઉપરાંત પોલીસ, પીજીવીસીએલ (વીજ કંપની) મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે.
લોકમેળામાં પ્રતિ વર્ષ અંદાજે 13થી 15 લાખની જનમેદની ઉમટી પડે છે. આ વખતે પણ લાખોની સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી પડવાની ધારણા રખાઈ રહી છે. જેને લઈને મેળામાં ખાસ વોચ ટાવર ઉભા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મેળામાં ખાસ ફરજ પર તૈનાત કરવામાં આવનાર વિવિધ વિભાગોના કર્મચારીઓના વડાઓને ખાસ વોકીટોકી પણ વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવનાર છે. મેળામાં પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, ઉપરાંત સીકયુરીટી સ્ટાફને પણ ફરજ સોંપવામાં આવનાર છે.
લોકમેળાને આડે હવે માત્ર જુજ કલાકો જ બાકી રહ્યા હોય વહીવટી તંત્ર દ્વારા આ મેળાની છેલ્લી ઘડીઓની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ મેળાના ઉદઘાટન માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉ મુખ્યમંત્રીને ખાસ આમંત્રણ મોકલવામાં આવેલ હતુ. પરંતુ આ મેળાનું ઉદઘાટન હવે ગુરૂવારે સાંજે જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર હોવાનું કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.