આજથી ગણેશચતુર્થીનો શુભારંભ, જાણો સ્થાપનાથી લઇને વિસર્જન વિધિ, સાથે શુભ મુહૂર્ત પણ
2025ની ગણેશોન્સવની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે ભક્તો પોતાના ઘરો અને પંડાલમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરીને તેમની પૂજા કરશે. દસ દિવસ સુધી ચાલે તે દરમિયાન પૂજા, આરતી અને વિશેષ ભોગ સાથે ભક્તિની ઉજવણી થશે

શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ હવે ભક્તિ અને ઉત્સાહનો પર્વ ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે.ભક્તો પોતાના ઘરો તેમજ પંડાલોમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરશે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ 6 સપ્ટેમ્બર, શનિવારે, અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આજે સ્થાપન માટે કેટલીક ખાસ વિધિ કરવી જરૂરી છે. સૌપ્રથમ પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવું અને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ શુભ મુહૂર્ત દરમિયાન મૂર્તિને પાટલા કે આસન પર સ્થાપિત કરવી. આસપાસ દીવો, ફૂલો અને અન્ય પૂજા સામગ્રી ગોઠવી દેવી. મંત્રોચ્ચાર સાથે ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને ત્યારબાદ ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો. ગણપતિજીને મોદકનો ભોગ ધરાવવો અને દુર્વા અર્પણ કરીને આરતી ઉતારવી.
- સવારે 06:25 થી 09:30
- બપોરે 03:55 થી 08:35
- રાત્રે 10:15 થી 11:45
ગણેશજીનું વિસર્જન 6 સપ્ટેમ્બર, શનિવારે અનંત ચતુર્દશીના દિવસે થશે. વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી ઉતારવી, મોદકનો ભોગ ધરાવવો અને તેમની ક્ષમા માંગવી. પ્રાર્થના કરવી કે બાપ્પા ફરી આગલા વર્ષે પધારે. ત્યારબાદ મૂર્તિને સન્માનપૂર્વક નદી, તળાવ કે પાણીમાં વિસર્જિત કરવી. પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો ઉત્સવ છે. આ પર્વ સમગ્ર સમાજને એકતા અને ઉત્સાહથી ભરી દે છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્તો
- સવારે 07:58 થી 09:30
- બપોરે 12:40 થી 05:15
- સાંજે 06:55 થી 08:25