પશ્વિમ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયનું 71 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
પશ્વિમ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયનું 71 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
ભૂતપૂર્વ રેલવે મંત્રી અને ટીએમસી નેતા મુકુલ રોયનું કોલકાતાના સોલ્ટ લેક સ્થિત એપોલો હોસ્પિટલમાં 1:30 વાગ્યે નિધન થયું હતું. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ સમાચારની પુષ્ટી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થયું છે. શુભ્રાંશુ રોયે જણાવ્યું કે તેમના પિતા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. તાજેતરમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે મોડી રાત્રે તેમનું નિધન થયું હતું.
મુકુલ રોયે બંગાળમાં યુથ કોંગ્રેસ સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાં સામેલ રોય લાંબા સમય સુધી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના નજીકના સહયોગી રહ્યા હતા. મમતાએ શરૂઆતમાં મુકુલને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ તેઓ દિલ્હીમાં ટીએમસીના એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા. તેઓ 2006 માં રાજ્યસભામાં ચૂંટાયા અને 2009 થી 2012 સુધી રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે સેવા આપી. જોકે, રોયે નવેમ્બર 2017 માં ટીએમસી છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી
મુકુલ રોયે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. આના પરિણામે 2011 ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી સત્તામાં આવી હતી. ટીએમસીના તત્કાલીન પાર્ટી મહાસચિવ તરીકે રોયના કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં સીપીએમ અને કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કર્યો. પરિણામે રોયે ઘણા અગ્રણી કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને ટીએમસીમાં જોડાવામાં મદદ કરી હતી. દરમિયાન, પાર્ટીના કેટલાક નિર્ણયો અંગે તેમનો મમતા બેનર્જી સાથે મતભેદ થયો, જેના કારણે રોય ભાજપમાં જોડાયા હતા.
2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, તે વર્ષના જૂનમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફર્યા. જોકે, ટીએમસીમાં તેમની સક્રિય ભાગીદારી પહેલા જેટલી મજબૂત નહોતી. રોય તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા.



