દેશ-દુનિયા

ખાનગી રાત્રિભોજન, સંસદમાં સંબોધન PM મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન શું થશે

આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ ભારત–ઇઝરાયલ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

 ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસની ઇઝરાયલ મુલાકાતે છે. આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ ભારત–ઇઝરાયલ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સ્વયં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે, જે બંને દેશોની નજીકતાનું પ્રતીક છે.

સંસદમાં સંબોધન અને ખાનગી રાત્રિભોજન

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે. તેમના ભાષણમાં દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી શક્યતા છે. સાંજે પ્રધાનમંત્રી નેતન્યાહૂ તેમના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ પ્રસંગે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

દ્વિપક્ષીય વાટાઘાટો

બંને નેતાઓ વચ્ચે વિગતવાર ચર્ચા યોજાશે, જેમાં સંરક્ષણ, સુરક્ષા, ટેકનોલોજી, કૃષિ, પાણી વ્યવસ્થાપન, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રો મુખ્ય રહેશે. 2017માં પ્રધાનમંત્રી મોદીની ઇતિહાસિક ઇઝરાયલ મુલાકાત દરમિયાન સંબંધોને “વ્યૂહાત્મક ભાગીદારી”નો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત વૃદ્ધિ નોંધાઈ છે.

નેતન્યાહૂની ભારત મુલાકાત અને સતત સંવાદ

નોંધનીય છે કે, બેન્જામિન નેતન્યાહૂ 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જે બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે-જેમાં ચંદ્રયાન-3ની સફળતા, પ્રાદેશિક પરિસ્થિતિ, આતંકવાદી હુમલા અને વૈશ્વિક શાંતિ જેવા મુદ્દાઓ શામેલ છે. તાજેતરના વર્ષોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજકીય અને કૂટનીતિક સંવાદ સતત મજબૂત બન્યો છે. 2025 દરમિયાન બંને દેશોના મંત્રીઓએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી. કૃષિ, પર્યટન, વેપાર, નાણા અને વિદેશ મંત્રાલય સ્તરે ચર્ચાઓ યોજાઈ. આથી સહકારને નવો વેગ મળ્યો છે. સ્ટાર્ટઅપ, સંયુક્ત સંશોધન, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સાયબર સુરક્ષા અને ઔદ્યોગિક નવીનતા જેવા ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત-ઇઝરાયલ ઇન્ડસ્ટ્રિયલ ઇનોવેશન ફંડ (I4F) હેઠળ અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ સહયોગ મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. 2025માં સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે ભવિષ્યમાં વધુ સહકારનો માર્ગ મોકળો કરે છે. વેપાર ક્ષેત્રે પણ બંને દેશો આગળ વધી રહ્યા છે. મુક્ત વેપાર કરાર (FTA) માટેની વાટાઘાટો શરૂ કરવા માટે જરૂરી શરતો પર સહમતી થઈ છે. દ્વિપક્ષીય રોકાણ કરાર (BIA) પર હસ્તાક્ષર થયા છે, જે રોકાણકારોને સુરક્ષા અને નવા અવસરો આપશે. કૃષિ ક્ષેત્રે બંને દેશો લાંબા સમયથી સહયોગ કરી રહ્યા છે. ભારતના વિવિધ રાજ્યોમાં ઇઝરાયલની મદદથી સ્થાપિત શ્રેષ્ઠતા કેન્દ્રો (CoEs) આધુનિક ખેતી અને સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. 2024-26 માટેની સંયુક્ત કાર્ય યોજના પર પણ હસ્તાક્ષર થયા છે.

ઇઝરાયલમાં 41,000થી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. 2023માં બંને દેશો વચ્ચે કામદારો માટે કાયદેસર રોજગારની સુવિધા માટે કરાર કરવામાં આવ્યો હતો. ત્યારથી હજારો ભારતીયો ઇઝરાયલમાં કામ કરવા ગયા છે. ભારત અને ઇઝરાયલ I2U2 Group ના સભ્ય દેશો છે. આ મંચ ખાદ્ય સુરક્ષા, નવીનીકરણીય ઊર્જા અને માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટેના પ્રયાસોને સતત સમર્થન આપે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button