જાણવા જેવું

UK જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરુ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં

બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે.

બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે ‘ઈ-વિઝા’ (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના જણાવ્યા અનુસાર, ઈ-વિઝા એ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રૅકોર્ડ છે, જે પ્રવાસીના પાસપોર્ટ સાથે ડિજિટલ રીતે લિંક રહેશે. આ સિસ્ટમ દ્વારા પ્રવાસીઓ ટુરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક વિઝા જેવી વિગતો ઓનલાઇન ‘UKVI’ (UK Visas and Immigration) જોઈ શકશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે, તેમણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમણે પણ પોતાનું ઓનલાઇન એકાઉન્ટ બનાવી તેને પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે.

ભારતીય અરજદારો માટે આજે યુકે ઈ-વિઝા શરુ

ભારતીય અરજદારો માટે આજથી યુકે ઈ-વિઝા સેવા શરુ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે. હવે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારોને તે જ દિવસે પાસપોર્ટ પરત મળી જશે, જેનાથી વિઝાના નિર્ણયની રાહ જોતી વખતે તેઓ અન્ય દેશોના વિઝા માટે અરજી કરી શકશે અથવા મુસાફરી કરી શકશે.

નોંધનીય છે કે તાજેતરમાં 5.50 લાખથી વધુ ભારતીયોએ યુકે વિઝા માટે અરજી કરી હતી. આ નવી સિસ્ટમમાં સગીર બાળકો સહિત પરિવારના દરેક સભ્ય માટે અલગ ઓનલાઇન એકાઉન્ટ હોવું અનિવાર્ય છે. પ્રવાસીઓએ મુસાફરી દરમિયાન વિઝાના ડિજિટલ પુરાવા ફોન અથવા પ્રિન્ટ સ્વરૂપે સાથે રાખવા પડશે. શરુઆતના તબક્કે કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાવાની શક્યતાને જોતાં બ્રિટિશ હોમ ઑફિસ આ પ્રક્રિયા પર સતત દેખરેખ રાખી રહી છે.

અરજદાર પાસપોર્ટ પરત લઈ જઈ શકશે

અત્યાર સુધી વિઝાની પ્રક્રિયામાં પાસપોર્ટને લગભગ ત્રણ અઠવાડિયા સુધી રોકી રખાતો હતો. પરંતુ નવા નિયમ મુજબ, વિઝા અરજદારોએ બાયોમેટ્રિક્સ અને ઓળખની ચકાસણી માટે વિઝા ઍપ્લિકેશન સેન્ટર (VAC) પર તો જવું પડશે, પરંતુ હવે ત્યાં પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. અરજદાર પોતાની પ્રક્રિયા પૂર્ણ કરીને તે જ દિવસે પાસપોર્ટ પોતાની સાથે પરત ઘરે લઈ જઈ શકશે. અગાઉ વિઝા પ્રોસેસિંગ દરમિયાન પાસપોર્ટ લગભગ 2થી 3 અઠવાડિયા સુધી એમ્બેસી પાસે રહેતો હતો, જેના કારણે મુસાફરો આ દરમિયાન અન્ય કોઈ દેશની યાત્રા કરી શકતા નહોતા. હવે પાસપોર્ટ તમારી પાસે જ રહેતો હોવાથી, તમે યુકેના વિઝાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પણ અન્ય દેશના વિઝા માટે અરજી કરી શકશો અથવા વિદેશ પ્રવાસ કરી શકશો.

ડિજિટલ એકાઉન્ટ અને લિંકિંગ

તમામ પ્રવાસીઓએ હવે UKVI (UK Visas and Immigration) પર પોતાનું ઓનલાઇન એકાઉન્ટ બનાવવાનું રહેશે. આ એકાઉન્ટ તમારા પાસપોર્ટ સાથે ડિજિટલી લિંક થયેલું હશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે, તેમણે ફરીથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમણે પણ પોતાનું UKVI એકાઉન્ટ બનાવી તેને પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button