વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા અંગે AAPનું અલ્ટીમેટમ, કોંગ્રેસે કહ્યું – સોદાબાજોની કોઈને ખોટ વરતાશે નહીં

બિહારમાં શુક્રવારે વિપક્ષી એકતાની બેઠક યોજાવાની છે. તે અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અલ્ટીમેટમ આપીને શંકાનું વાતાવરણ સર્જ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેજરીવાલે કહ્યું છે કે વટહુકમ અંગે કોંગ્રેસ અમને સમર્થન નહીં આપે તો અમે વિપક્ષની બેઠકમાં હાજરી આપીશું નહીં. હવે કોંગ્રેસે તેમના આ દાવા પર વળતો પ્રહાર કર્યો છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીના નેતાઓ આજે જ પટણા પહોંચી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પટણા પહોંચી ગયા છે.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે એક નિવેદન જારી કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલે ફરી એક નાટકીય નિવેદન આપ્યું છે કે જો કોંગ્રેસ વટહુકમ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો તેઓ આવતીકાલે પટણામાં યોજાનારી વિપક્ષની બેઠકમાં હાજરી નહીં આપે. કેજરીવાલ જી તમને કોઈ યાદ નહિ કરે. તમે ત્યાં જાઓ કે ન જાઓ, અમને તો પહેલેથી જ ખબર હતી કે તમે વિપક્ષની બેઠકમાં ભાગ નહીં લેવાના બહાના શોધી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ સોદાબાજોની નહીં પણ દેશની ચિંતા કરનારાઓની બેઠક છે
વિપક્ષની બેઠક અંગે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે 23 જૂનની બેઠક ભાજપના શાસન સામે લડવા અને એકતા બનાવવા માટેની છે. વિપક્ષ માટે આ એક સારી શરૂઆત હશે.
તેજસ્વીનો ભાજપ પર વળતો પ્રહાર
બીજેપી નેતાઓના નિવેદન પર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વળતો પ્રહાર કરતા કહ્યું કે મોદી વિશે કોઈ વાત નથી કરી રહ્યું, મુદ્દાની વાત થશે… વિપક્ષમાં એવા ઘણાં નેતાઓ છે જેઓ વહીવટી, સામાજિક અને રાજકીય બાબતોના ક્ષેત્રે પીએમ મોદી કરતાં વધુ અનુભવી છે. વિપક્ષમાં કોઈ એવા નેતા નથી જેમને મીડિયાએ તેયાર કર્યા હોય. વિરોધપક્ષમાં એવા નેતાઓ છે જે જનતાની વચ્ચે જાય છે, કોઈ ડર હોતો નથી. શેનો ડર ? જ્યારે આપણા મુદ્દા એક છે ત્યારે અલગ-અલગ શા માટે લડવું. અમે બધા સમાન વિચારધારાવાળા પક્ષો છીએ. આપણે શા માટે આપણા મતોને વેરવિખેર કરી દઈએ.