કેનેડામાં ફરી ખાલીસ્તાની સમર્થકોની બબાલ: ભારતીય દૂતાવાસ પર દેખાવો: ‘તિરંગા’નુ અપમાન
ભારત-કેનેડાના તંગ સંબંધો વચ્ચે ફરી વિરોધી દેખાવો: દુતાવાસની સુરક્ષા વધારાઈ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરના હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના આરોપને પગલે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ નિજજરની હત્યા વિરોધમાં વાનકુંવરમાં ભારતીય વાણિજય દૂતાવાસના બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને ભારતીય વાણિજ્ય દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ખાલીસ્તાની સમર્થકોના વિરોધ પ્રદર્શનને પગલે અનેક રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે. હોર્વે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસનું પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યું છે. વિશ્વ શીખ સંગઠનના અધ્યક્ષ તેજીન્દરસિંહ સિદ્ધુએ એક નિવેદનમાં હરદીપસિંહ નિજજરના હત્યારાને શોધી કાઢવાનું આહવાન કર્યું છે. વિરોધી પ્રદર્શન દરમિયાન ખાલીસ્તાની સમર્થક દેખાવકારોએ ખાલીસ્તાનના ધ્વજ સાથે જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભારતીય વાણિજ્ય દૂતાવાસ પાસે દેખાવકારોએ ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું દહન કરીને ગાર્બેજ કન્ટેનરમાં નાખ્યો હતો. ખાલીસ્તાની સમર્થકોએ નિજજરની હત્યાની તપાસ માટે પબ્લીક ઈન્કવાયરીની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શન કેનેડાના વિવિધ શહેરોમાં થયું હતું. ખાલીસ્તાન સમર્થક દેખાવકારે દેખાવ કરે તે પહેલા જ વાનકુંવર પોલીસે ભારતીય દૂતાવાસના વિસ્તારમાં બેરકેડ લગાવી દીધા હતા.