શક્તિપીઠ અંબાજી મંદિરમાં ફરી એકવાર ગરબા રમવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો
મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ફરી એકવાર ગરબા રમવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી એક દિવસ પહેલા જ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો કે પુરુષો અને મહિલાઓ સાથે ગરબા નહીં રમી શકે. જોકે આ નિર્ણય બાદ માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળતા આખરે 48 કલાકમાં જ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે અને હવે પુરુષો અને મહિલાઓ સાથે ચાચર ચોકમાં ગરબે રમી શકશે. ખેલૈયાઓની લાગણીને માન આપીને અંબાજીમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચાચરચોકમાં હવે પુરુષો પણ ગરબા રમી શકશે. જે બાદ ખેલૈયાઓમાં ખુશી છવાઈ હતી અને તેમણે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે. આ નિર્ણય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ સમીક્ષા કરીને લીધો છે.