આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના પ્રમુખ નેતાઓની બેઠક યોજવવાની છે પણ એ પહેલા સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી છે.
સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી

સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી સોમવારના રોજ હોબાળોથી ઠપ થઈ ગઈ હતી. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ સંસદની સુરક્ષામાં ચૂક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. ગૃહમાં હંગામા વચ્ચે લોકસભા અને રાજ્યસભાના કુલ 92 સાંસદોને સમગ્ર શિયાળુ સત્રની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના પ્રમુખ નેતાઓની બેઠક યોજવવાની છે જેમાં આવનાર લોકસભા ચૂંટણી વિશે રણનીતિ બનાવવાની સાથે બીજા ઘણા મુદ્દે ચર્ચા થશે, પરંતુ એ પહેલા સસ્પેન્ડ કરવામાં આવેલ 92 સાંસદોને લઈને આ ગઠબંધને એક રણનીતિ બનાવી છે.
મળતી જાણકારી અનુસાર ઈન્ડિયા ગઠબંધનના સાંસદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવારે લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો એમ કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના રાજ્યસભામાં કુલ 95 સાંસદો છે, જેમાંથી 45ને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન પાસે લોકસભામાં કુલ 133 સાંસદો છે, જેમાંથી 46 એટલે કે લગભગ એક તૃતીયાંશ સસ્પેન્ડ છે. લોકસભાના કુલ 46 સસ્પેન્ડેડ સાંસદોમાંથી 33 સાંસદોને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે 13ને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા તેમાં અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદો, તૃણમૂલ અને ડીએમકેના 9-9 અને અન્ય પક્ષોના 4 સાંસદોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે પણ વિપક્ષના 45 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા 14 ડિસેમ્બરે આ જ મામલામાં લોકસભાના 13 સાંસદો અને રાજ્યસભાના ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



