યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા હતા તે વખતે તેના કાફલાની ખુબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ અને ગ્રીસના વડાપ્રધાન ઓડેસામાં મળવાના હતા.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી યુધ્ધ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. તેમજ ઘણા લોકો ઘાયલ પણ થાય છે. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા હતા તે વખતે તેના કાફલાની ખુબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ અને ગ્રીસના વડાપ્રધાન ઓડેસામાં મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો હતો. નોંધનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને ગયા મહિનામાં બે વર્ષ પૂરા થયા હતા. ઘણા પ્રયત્નો છતા બંને દેશ વચ્ચે હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ નથી.
આ યુધ્ધને લઈને યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સરવેમાં ખૂબ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે. જેમાં યુરોપના મોટાભાગના લોકો રશિયા સામેના યુધ્ધમાં યુક્રેનને સમર્થન આપે છે. પરંતુ 10માંથી માત્ર એક જ માને છે કે યુધ્ધમાં યુક્રેન જીતી શકે છે. ત્યારે મોટાભાગના લોકો માને છે કે આ યુધ્ધ માત્ર કરાર દ્વારા જ સમાપ્ત થઈ શકે છે જે યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણાને બદલે જવાબી કાર્યવાહીનું સમર્થન કરે છે.