પરશોત્તમ રૂપાલાએ માફી માગી છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત ,લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો ,
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે
પરશોત્તમ રૂપાલાએ માફી માગી છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. રાજ્યમાં રૂપાલા સામે ભારો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરાયો છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે આ દાવો કર્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે.
રૂપાલાની ટીપ્પણી સામે રાજપૂતો રોષે ભરાયા રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે. ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.
ક્ષત્રિયો સાથે સી.આર.પાટીલની બેઠક
રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ વિવાદ થયો છે. ચુંટણી સમયે ભાજપ નેતાનું આ નિવેદન ભારે પડી શકે છે જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એક્ટિવ થયા છે. તેઓ રાજકોટ પહોચ્યા હતા અને વિવાદને લઇ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
પરશોત્તમ રૂપાલાના કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણા જિલ્લામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. જ્યારે ઊંઝા પોલીસ મથકે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ પરશોતમ રૂપાલા ચારેબાજુથી ઘેરાયા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે. અભદ્ર નિવેદન વિરૂદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે.



