ચૂંટણી પૂર્ણ થતા જ બંગાળમાં હિંસા શરૂ, ફેંકાયો TMC નેતાના ઘર પર બોમ્બ, BJP ઓફિસમાં પણ તોડફોડ
બંગાળમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ હિંસા શરૂ થઈ ગઈ છે. કૂચબિહારમાં બીજેપીના એક નેતાની મારપીટ કરવામાં આવી હતી અને નાદિયામાં TMC નેતાના ઘરે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સતત ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પર ટીએમસીનો વિજય થયો છે. ટીએમસીએ ભાજપને 29-12થી હરાવ્યું. હવે ચૂંટણી પૂરી થયા બાદ બંગાળમાં હિંસા શરૂ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બુધવારે અનેક ભાગોમાં અનેક ઘટનાઓ નોંધાઈ હતી. કૂચ બિહારમાં ટીએમસી સાથે જોડાયેલા એક બીજેપી કાર્યકર પર બંદૂક વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બીજી તરફ નાદિયામાં ટીએમસીના યુવા નેતાના ઘર પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જ્યારે 24 પરગણામાં કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓના ઘર અને ઓફિસમાં તોડફોડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ બાદ બુધવારે રાજ્યભરમાંથી મતદાન પછીની હિંસાના અનેક બનાવો નોંધાયા હતા. કૂચબિહાર જિલ્લાના નતાબડી વિસ્તારમાં ટીએમસી સમર્થક દ્વારા ભાજપના કાર્યકર પર કથિત રીતે બંદૂકથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કથિત ઘટનાના વીડિયોમાં સ્થાનિક રહેવાસીઓ ટીએમસી કાર્યકરનો પીછો કરતા જોઈ શકાય છે જે પોતાની બંદૂક લઈને ભાગી રહ્યો હતો.
બીજી તરફ નાદિયાના શાંતિપુરમાં ટીએમસીના એક યુવા નેતાના ઘરે કથિત રીતે દેશી બનાવટનો બોમ્બ ફેંકવામાં આવ્યો. જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપારામાં કેટલાક લોકોએ કથિત રીતે ભાજપના કાર્યકરોના ઘરોમાં તોડફોડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લામાં અન્ય એક ઘટનામાં મધ્યગ્રામ વિસ્તારમાં એક ડઝનથી વધુ ઘરો અને ભાજપ કાર્યાલયમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે. સૈનિકો ત્યાંથી પરત ફરતાની સાથે જ આરોપીઓ પાછા આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં તોડફોડ કરી હતી.
જ્યારે ભાજપે ટીએમસીને દોષી ઠેરવ્યું છે. ત્યારે શાસક પક્ષે એવો પણ દાવો કર્યો છે કે ભાજપની અંદર હરીફ જૂથો વચ્ચેના વિવાદને કારણે અથડામણ થઈ છે. પોલીસે જણાવ્યું હતું દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હાવડા અને નરેન્દ્રપુરમાં સમાન ઘટનાઓ નોંધવામાં આવી હતી. જ્યાં ભાજપના કાર્યકરોના ઘરોમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી. દુર્ગાપુરમાં માકપા નેતાની પુત્રીની દુકાનમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.
તેઓનાં પક્ષના કાર્યકરો પરના હુમલાઓ પર પ્રતિક્રિયા આપતા ભાજપે ટીએમસી પર રાજ્યમાં “આતંકનું શાસન” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ટીએમસીએ આતંકનું શાસન ચલાવ્યું છે. અહીંયા 2021 ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાનું પુનરાવર્તન છે. અમે મમતા બેનર્જી સરકારને વિનંતી કરીશું કે નક્કી કરે કે હવે આવી ઘટનાઓ નહી થાય. જો કે હાલ આ ઘટનાઓ પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.