મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે
મને મુખ્યમંત્રી પદની કોઈ ઈચ્છા નથી. તમે તમારો નિર્ણય જણાવો. મહાયુતિ અને એનડીએના વડાઓ સાથે મળીને જે પણ નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે.
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે. એકનાથ શિંદે (Eknath Shinde)એ આજે (27 નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું ખુલ્લા દિલનો વ્યક્તિ છું. હું નાના વિચારશરણી ધરાવતો નથી. હું લોકો માટે કામ કરતો નેતા છું. તેમણે કહ્યું કે બીજેપીમાંથી જે પણ સીએમ બનશે તેને સમર્થન આપશે.
એકનાથ શિંદેએ કહ્યું કે, પીએમ મોદીએ ગઈ કાલે મને ફોન કર્યો હતો. મેં તેમને કહ્યું કે નવી સરકાર બનાવવામાં મારી બાજુથી કોઈ મુશ્કેલી નહીં આવે. મને મુખ્યમંત્રી પદની કોઈ ઈચ્છા નથી. તમે તમારો નિર્ણય જણાવો. મહાયુતિ અને એનડીએના વડાઓ સાથે મળીને જે પણ નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે. મેં નરેન્દ્ર મોદીજીને કહ્યું કે મારા વિશે વિચારવાને બદલે મહારાષ્ટ્ર અને રાજ્યના લોકો વિશે વિચારો. મેં અમિત શાહને પણ એ જ કહ્યું છે કે મારી તરફથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમારો નિર્ણય અંતિમ રહેશે.
એકનાથ શિંદેએ કહ્યું, અમે સરકારમાં રહીને મહારાષ્ટ્રના લોકોના હિતમાં શું કરી શકીએ તે વિચારીને કામ કર્યું. અમે લોકો માટે ઊભા છીએ અને રાજ્યને ફરીથી આગળ લઈ જવાના છીએ. રાજ્યને કેન્દ્ર સરકારની મદદની જરૂર છે અને તેની મદદ મળે છે. અમે કેન્દ્ર પાસેથી લાખો કરોડનું ભંડોળ લીધું છે, તેથી હું નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કરું છું.
સીએમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાતની ગેરહાજરીમાં એકનાથ શિંદે નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. એકનાથ શિંદેએ ખુદ આનો જવાબ આપતા કહ્યું કે તમે બધા પૂછો છો કે શું હું નારાજ છું, હું તમને જણાવી દઉ કે, હું રડનારાઓમાં નથી પણ લડનારાઓમાં છું. હું નારાજ નથી પણ કામ કરનારાઓમાં છું, હું મારા છેલ્લા શ્વાસ સુધી મહારાષ્ટ્રની સેવા કરીશ. હું ઉકેલોમાં વિશ્વાસ કરું છું. અમારી જીતની સરખામણી ઈતિહાસ સાથે કરવામાં આવે છે.



