મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મહાજીત બાદ હવે મૂખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું ,
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મહાયુતિના નેતાઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે BJPમાંથી કોઈ વ્યક્તિ આગામી CM બનશે, જેના કારણે દેવેન્દ્ર ફડણવીસની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મહાજીત બાદ હવે મૂખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું છે. આ તરફ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મહાયુતિના નેતાઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે BJPમાંથી કોઈ વ્યક્તિ આગામી CM બનશે, જેના કારણે દેવેન્દ્ર ફડણવીસની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ, શિવસેના (શિંદે જૂથ), એનસીપી (અજિત જૂથ) વચ્ચે પણ વિભાગો વહેંચવામાં આવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના સંભવિત મંત્રીઓની યાદી પણ બહાર આવી છે.
અમિત શાહ સાથેની બેઠકમાં મહાયુતિ સરકાર માટે 22:12:10ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. એટલે કે ભાજપના 21-22, શિવસેનાના 10-12 અને NCPના 9-10 મંત્રીઓ બની શકે છે. ભાજપની સાથે શિવસેના અને NCPને પણ મોટા વિભાગો મળવાની આશા છે. નવી સરકારમાં CMની સાથે બે ડેપ્યુટીઓ હશે, જેમાંથી એક શિવસેનાનો અને બીજો NCPનો હોઈ શકે છે.
જો આપણે ભાજપના વિભાગો વિશે વાત કરીએ તો તેમનું ધ્યાન ગૃહ વિભાગ, આવાસ અને શહેરી વિકાસ, સિંચાઈ, ઉર્જા, PWD, પર્યાવરણ અને પ્રવાસન, સંસદીય બાબતો, કૌશલ્ય વિકાસ અને સામાન્ય વહીવટ (GAD) વિભાગો પર છે. એકનાથ શિંદે જૂથને શહેરી વિકાસ અને MSRDC મંત્રાલય, મહેસૂલ, કૃષિ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્ત્વના વિભાગો મળી શકે છે. આ સાથે અજિત પવાર જૂથની નજર નાણાં પર કેન્દ્રિત છે. તેઓને કૃષિ, અન્ન અને નાગરિક પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ, તબીબી શિક્ષણ, રમતગમત, ગ્રામીણ વિકાસ, સહકાર અને માર્કેટિંગ જેવા વિભાગો મળી શકે છે.