નોર્થ ઈસ્ટના અમુક શહેરોમાં હોસ્પિટલો દ્વારા બાંગ્લાદેશીઓને સારવાર આપવાનો ઇનકાર ,
કલીનીક પર રાષ્ટ્રધ્વજ રાખ્યો: રાષ્ટ્રભકિતનો અદ્ભૂત કિસ્સો ,

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળના કેટલાક ડોક્ટરોએ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. ડો.શેખર બંદોપાધ્યાયે સિલીગુડીમાં પોતાના ખાનગી ક્લિનિકમાં ત્રિરંગો લગાવ્યો છે.
ડોક્ટરે ધ્વજની સાથે મેસેજમાં લખ્યું- ભારતનો રાષ્ટ્રધ્વજ આપણી માતા જેવો છે. કૃપા કરીને ચેમ્બરમાં પ્રવેશતા પહેલા ત્રિરંગાને સલામી આપો. ખાસ કરીને બાંગ્લાદેશી દર્દીઓ, જો તેઓ સલામ નહીં કરે તો તેમને અંદર આવવા દેવામાં આવશે નહીં.
ડો.શેખર બંદોપાધ્યાય ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ હોસ્પિટલના ENT વિભાગમાં સ્પેશિયલ મેડિકલ ઑફિસર તરીકે કામ કરે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું- મને એ જોઈને દુ:ખ થયું છે કે બાંગ્લાદેશમાં આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે.
એક ડોક્ટર તરીકે હું દર્દીઓને દૂર કરવા નથી માંગતો, પરંતુ જે લોકો મારા દેશમાં આવે છે તેઓએ આપણા ધ્વજ, આપણી માતૃભૂમિનું સન્માન કરવું જોઈએ. એવું લાગે છે કે બાંગ્લાદેશ તાલિબાની માનસિકતામાં ફસાઈ ગયું છે.
અન્ય ડોક્ટર, જનરલ સર્જન અને બાળ નિષ્ણાત ચંદ્રનાથ અધિકારીએ જાહેરાત કરી છે કે તેઓ તેમના ખાનગી ક્લિનિકમાં કોઈપણ બાંગ્લાદેશી દર્દીની સારવાર નહીં કરે. ડોક્ટરે કહ્યું, હું બોલપુરની સરકારી હોસ્પિટલમાં જોડાયેલું છું.
ત્યાં, હું કોઈપણ દર્દીને ના પાડી શકતો નથી, પરંતુ મને મારા ક્લિનિકમાં આવું કરવાની સ્વતંત્રતા છે. મેં નક્કી કર્યું છે કે હું બાંગ્લાદેશના દર્દીઓને જોઈશ નહીં. મારો દેશ પ્રથમ આવે છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આપણા બધા માટે ગંભીર ચિંતાનો વિષય છે.
કોલકાતા, પશ્ચિમ બંગાળ અને અગરતલા, ત્રિપુરાની બે હોસ્પિટલોએ પહેલાથી જ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે. કોલકાતાની જેએન રે હોસ્પિટલના સુભ્રાંશુ ભક્તાએ કહ્યું- હવે બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરવામાં આવશે નહીં કારણ કે બાંગ્લાદેશમાં ત્રિરંગાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
ભારતે તેમની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં અમે તેમની વચ્ચે ભારત વિરોધી ભાવનાઓ જોઈ રહ્યા છીએ. ત્રિપુરાના અગરતલામાં ઈંકજ હોસ્પિટલની સામે કેટલાક લોકોએ બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી હોસ્પિટલ મેનેજમેન્ટે બાંગ્લાદેશી દર્દીઓની સારવાર ન કરવાનો નિર્ણય લીધો હતો.