બાવન અધિકારીઓને ખાસ પ્લેન મારફતે મેળામાં પહોંચાડાયા: VIP-VVIP તમામ પાસ તત્કાલ અસરથી રદ્દ ,
મહાકુંભમાં અવ્યવસ્થાની આવી રહેલી સતત ફરિયાદોને કારણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવીને તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી

પ્રયાગરાજમા આયોજીત મહાકુંભમા હાલ વ્યવસ્થા બગડતી જોવા મળી રહી છે.રોજ લાખો લોકો મહાકુંભમા પહોંચી રહ્યા છે. આજના માઘ પૂર્ણિમાના સ્નાન માટે બહોળી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજની બહાર લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે અને અન્ય રાજ્યોના વાહનોને અંદર પ્રવેશ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકોમાં પણ આ અંગે રોષ ફેલાયો છે.અવ્યવસ્થાને કારણે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અકળાયા હોય તેવું જાણવા મળ્યું છે. આ વ્યવસ્થાને લઈને તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવ્યા છે.
મહાકુંભમાં અવ્યવસ્થાની આવી રહેલી સતત ફરિયાદોને કારણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવીને તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. યોગીએ ખાસ કરીને પ્રયાગરાજ ઝોનના ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) ભાનુ ભાસ્કર અને ADG-ટ્રેફિક સત્યનારાયણની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે ’સમગ્ર પ્રયાગરાજની જવાબદારી તમારા પર હતી, પરંતુ તમે તો સ્થળ પર હાજર જ નહોતા. માત્ર કોન પર આદેશો આપી રહ્યા હતા. મેળાની ખરાબ વ્યવસ્થાને કારણે રાજ્ય અને રાજ્ય સરકારની છબિને નુકસાન પહોંચ્યું એનું મુખ્ય કારણ તમે લોકો જ છો. કરોડો લોકો પહોંચવાના છે એવી માહિતી હોવા છતાં પણ તમે બેજવાબદારીપૂર્વક કામ કર્યું.’
યોગી દ્વારા હવે આજના માઘ પૂર્ણિમા સ્નાન સમયે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ માટે સ્પેશ્યલ પ્લેન દ્વારા અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બાવન ઉચ્ચ અધિકારીઓને તત્કાલ અસરથી તમામ કામ પડતાં મૂકીને મહાકુંભમાં પહોંચવા માટેના આદેશ અપાયા છે, જેને પગલે એ લોકો પણ પહોંચી ગયા છે. આ ઉપરાંત ટ્રેફિક અને અવ્યવસ્થાને ખાળવા માટે માઘ પૂર્ણિમાની નવી ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ સ્થિતિમાં રોડ જામ ન થવો જોઇએ.
હવે માત્ર મેળા વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર શહેરમાં 12 ફેબ્રુઆરી સુધી નો-વેહિકલ ઝોન ,
કલ્પવાસીઓનાં વાહનોને પણ અંદર આવવા કે બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ. ,
માત્ર પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવાં જરૂરી વાહનોને જ પ્રવેશ માટે છૂટ ,
તમામ પ્રકારના VIP, VVIP પાસ રદ ,
સમગ્ર પ્રયાગરાજમાં પગપાળા યાત્રા સિવાય કોઈ વાહનને મંજૂરી નહીં ,
તમામ પાર્કિંગ અને સ્ટેશનો સંગમથી 8-10 કિલોમીટર દૂર ,
માધ પૂર્ણિમા સુધી પ્રયાગરાજનાં તમામ પ્રખ્યાત મંદિરો પણ બંધ રહેશે ,
માઘ પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં હોડીઓના સંચાલન પર પણ પ્રતિબંધ ,
પ્રયાગરાજમાં ફસાયેલી ગાડીઓને પણ આજ રાત સુધીમાં બહાર કાઢી દેવામાં આવશે ,