સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાખોર શખ્સે 17 વર્ષીય પરેશ વાઘેલા નામના સગીરને ચપ્પુના ઘા મારી હત્યા કરી ,
માત્ર 10 રૂ. ન આપતા નશાખોર યુવકે રસ્તા વચ્ચે જ સગીરનું ઢીમ ઢાળી દીધું, લોકો રસ્તા પર ઉતરી આવ્યા

સુરતમાં ગુનાખોરીના વધતા ગ્રાફથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસામાજિક તત્વોએ સુરતના કાપોદ્રામાં સગીરની હત્યા કરતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી વિરોધ નોંધાવીને લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે ,
કાપોદ્રામાં નશાખોરે 17 વર્ષીય સગીરની હત્યા કરી નાંખી છે. હીરાના કારખાનામાં કામ કરતા પરેશ વાઘેલા પોતાની બહેન સાથે રાત્રે છૂટીને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ઘર નજીક શેરીમાં પ્રભુ શેટ્ટી નામનો નશાખોર રસ્તો રોકીને ઉભો રહી ગયો હતો અને પરેશ પાસે નશો કરવા માટે રૂપિયાની માગ કરવા લાગ્યો હતો. પરેશ વાઘેલા પાસે ભાડાના માત્ર 10 રૂપિયા હોવાથી તેણે રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી આવેશમાં આવીને આરોપીએ પરેશને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝિંકી દીધા હતા. ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા પરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું ,
આરોપી પ્રભુ મદ્રાસીએ પરેશને ચાકુ માર્યા પછી રિક્ષાચાલકને પણ ચાકુ માર્યું હતું. રિક્ષાચાલક હાલ સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, મૃતકના પિતા અરવિંદભાઈ અમરેલી જિલ્લાના વતની છે, તેઓ સુરતમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આર્થિક મદદ માટે પરેશ વાઘેલા પણ હીરાના કારખાનામાં કામ કરતો હતો અને તેના પિતા ફળની લારી ચલાવે છે. અરવિંદભાઈને 5 સંતાનમાં પરેશ એકનો એક દીકરો હતો. ઘરનો દીપક અકાળે બુઝાઈ જતા પરિવારમાં આક્રંદ સાથે રોષ વ્યાપ્યો છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે આવીને ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ મદ્રાસી ધરપકડ કરી છે. પરંતુ ઘટનાથી પરિવાર અને વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મોડી રાત્રે લોકોએ કાપોદ્રા પોલીસનો ઘેરાવ કર્યો હતો. આરોપીને ફાંસીની સજા મળે તેવી પરિવારે માગ કરી રહ્યાં છે.
રાજ્યમાં કેમ કથળી રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? નશાખોરે પરિવારનો દીપક બુઝાવી દીધો જવાબદાર કોણ?
ગુંડા તત્વો નશો કરે અને રૂપિયા બીજા કોઈ કેમ આપે? કેવી કાર્યવાહી કરીને તંત્ર ઉદાહરણ બેસાડશે?
કહેવાય છે, કે કાયદાના હાથ લાંબા, તો ટૂંકા ક્યાં પડે છે? મૃતકના પરિવારે ક્યારે અને કેવો ન્યાય મળશે?