ઉપરાષ્ટ્રપતિએ ફરી વિવાદ આગળ વધાર્યો સંસદ જ સર્વોપરી; ઉપરાષ્ટ્રપતિ ધનખડ ,
સાંસદો બંધારણના અંતિમ માલીક તેના પર કોઈ હોઈ શકે નહી : સુપ્રીમનું નામ લીધા વગર જ દેશની સર્વોચ્ચ અદાલત પર પ્રહાર
સંસદ કે સુપ્રીમ સર્વોપરી તે મુદે સૌ પ્રથમ વિવાદ છેડીને સુપ્રીમ કોર્ટ તેની મર્યાદા બહાર જઈ રહી છે તેવા વિધાનો કરીને ખળભળાટ મચાવનાર ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ફરી એક વખત તેમના વિધાનોનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, સંસદ જ સર્વોપરી છે અને સંવિધાનની અંતિમ માલીક છે તેના પર કોઈ ઓથોરીટી હોઈ શકે નહી.
દિલ્હી યુનિ. આયોજીત એક કાર્યક્રમમાં બોલતા શ્રી ધનખડેએ ફરી એક વખત સુપ્રીમકોર્ટના અધિકાર ક્ષેત્ર અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન જેણે કટોકટી લાદી હતી તેને 1977માં જવાબદાર ગણાવાયા હતા. તેથી તેમાં કોઈ સંદેહ હોવો જોઈએ નહી કે બંધારણ લોકો માટે છે અને તેજ તેની સુરક્ષા કરી શકે છે.
તેઓએ દાવો કર્યો કે, ચુંટાયેલા સાંસદો જ બંધારણના અંતિમ માલીક છે. સંવિધાન પર અન્ય કોઈ ઓથોરિટીની કલ્પના જ કરી શકાય નહી અને સંસદ જ સર્વોપરી છે અને તે દેશના દરેક વ્યક્તિ જેટલી જ સુપ્રીમ છે.



