રૂા. 1.05 લાખ કરોડની આવકવેરા વસુલાત ગુજરાતની સમૃધ્ધિનો પુરાવો : રાજયપાલ
આ વર્ષે ટેકસ કલેકશનનો ટારગેટ 25 લાખ કરોડ; રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 9 કરોડે પહોંચી : સ્ક્રુટીની રેટ માત્ર 0.2 ટકા : ગુજરાતનાં મુખ્ય આયકર કમિશ્નર સતીષ વર્મા

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા અને આવકવેરા વિભાગની કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે.
આજે આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ તે આવકવેરા વિભાગની મહેનત અને કરદાતાઓના વિશ્વાસને કારણે શક્ય બન્યું છે. કોઈપણ રાષ્ટ્ર, સમાજ કે પરિવારની પ્રગતિનો મૂળ પાયો ’અર્થતંત્ર’ છે અને આ દિશામાં આવકવેરા વિભાગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે, આજે રાજ્યમાંથી વાર્ષિક રૂ .1,05,421 કરોડનો આવકવેરા સંગ્રહ થઈ રહ્યો છે, જે સમાજની આર્થિક મજબૂતીનો પુરાવો છે.
રાજ્યપાલશ્રીએ કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે પરસ્પર વિશ્વાસની લાગણીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, આવકવેરા પ્રક્રિયામાં ભયના વાતાવરણને બદલે સંવાદ, સહાનુભૂતિ અને પારદર્શિતા હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ આવકવેરા અધિકારીની સામે હોય છે, ત્યારે અધિકારીએ એ પણ વિચારવું જોઈએ કે જો હું તેમની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં એ સ્પષ્ટ કર્યું કે, કર વસૂલાત એ માત્ર મહેસૂલ વસૂલાત નથી, પરંતુ સામાજિક સમાનતાનું માધ્યમ છે. કરનો હેતુ શ્રીમંત વર્ગના સંસાધનોને જનતામાં સમાન રીતે વહેંચવાનો છે, જેથી સમાજમાં સંવાદિતા, ભાઈચારો અને એકતાની ભાવના વધુ પ્રબળ બને.
આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા ડિજિટલ સુધારાઓ અને કર પ્રક્રિયાના સરળીકરણની પ્રશંસા કરતાં કહ્યું કે, આજની કાર્ય પદ્ધતિ પહેલા કરતાં વધુ સરળ અને વધુ પારદર્શક બની છે. તેમણે રૂ . 12 લાખ સુધીની કરમુક્તિ જેવા પ્રગતિશીલ નિર્ણયોને કરદાતાઓ પ્રત્યે સરકારના સકારાત્મક વલણનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ગુરુવારે અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત સતીશ શર્મા, મુખ્ય આયકર આયુક્ત (ટીડીએસ) શ્રીમતી. અપર્ણા અગ્રવાલ, મુખ્ય આયકર આયુક્ત (અમદાવાદ-1) રાજેશ કુમાર ગુપ્તા, આવકવેરા વિભાગના મહાનિદેશક (તપાસ) સુનિલ કુમાર સિંહ અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે, ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત સતીશ શર્માએ તેમના સંબોધનમાં આવકવેરા વિભાગમાં થયેલા ઐતિહાસિક ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આયકર વિભાગ એક કાયદાના અમલીકરણ આધારિત સંગઠનમાંથી સેવા સંસ્થામાં પરિવર્તિત થયો છે.
જ્યારે તેમણે 1990 માં સેવા શરૂ કરી હતી, ત્યારે ઓફિસ 100% કાગળ પર આધારિત હતી, જ્યારે આજે આખી સિસ્ટમ 100% ડિજિટલ બની ગઈ છે. હવે કરદાતાને આવકવેરા કચેરીમાં આવવાની જરૂર નથી, 10 દિવસમાં રિફંડ મળી રહ્યું છે અને આકારણી પણ ફેસલેસ થઈ ગઈ છે.
સમગ્ર વિશ્વમાં આ પ્રકારની આ એક અનોખી સિસ્ટમ છે, જેને ઘણા દેશો અપનાવવાનું વિચારી રહ્યા છે.કર પ્રણાલીમાં આમૂલ ફેરફારોની તુલના કરતાં, શર્માએ જણાવ્યું કે પહેલા કર દર 60% સુધી હતો, જ્યારે હવે મહત્તમ દર 30% છે.
1990 માં કર વસૂલાત રૂ. 10,000 કરોડ હતી, જે હવે 22 લાખ કરોડને વટાવી ગઈ છે અને આ વર્ષે લક્ષ્ય 25 લાખ કરોડ છે. તેમણે આને કરદાતાઓની પ્રામાણિકતા, વિભાગની કાર્યક્ષમતા અને સરકારની કરદાતા-મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું.
શર્માએ કહ્યું કે, પહેલા ફક્ત 40 લાખ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હતા, જ્યારે હવે આ સંખ્યા 9 કરોડ સુધી પહોંચી ગઈ છે, અને ચકાસણીના કેસોનો દર પણ 5% થી ઘટીને માત્ર 0.2% થયો છે.