ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ , આંદામાન-નિકોબારમાં ગુરુવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન અને નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. આ તરફ ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 4.17 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. આ સાથે જ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. બુધવારે એટલે કે 2 ઓગસ્ટના રોજ પણ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 5.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.
નોંધનીય છે કે, 29 જુલાઈના રોજ પણ આંદામાન ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે લગભગ 12.53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 69 કિલોમીટરની ઊંડાઈ પર હતું.