આ માત્ર પૂજા સ્થળ નહીં, ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વૈશ્વિક યોગદાનને દર્શાવે છે ઋષિ સુનક
બીએપીએસના આધ્યાત્મિક વડા પરમપૂજય મહંત સ્વામી મહાજયંતી વિશેષ સંદેશ રજુ કરાયો હતો.

યુપાઈટેડ કિંગડમ (યુકે)ના વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે જી.20 સમીટ માટે ભારતની તેમની સતાવાર યાત્રા દરમિયાન દિલ્હીના બીએપીએસ સ્વામીનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. સદભાવના અને મિત્રતાના પ્રતીક તરીકે પરંપરાગત હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અક્ષરધામના વરિષ્ઠ સંતો અને કાર્યકરો દ્વારા સુનકનું અભિવાદન કરાયું હતું.
બીએપીએસના આધ્યાત્મિક વડા પરમપૂજય મહંત સ્વામી મહાજયંતી વિશેષ સંદેશ રજુ કરાયો હતો. મહારાજે તેમના અને અન્ય પ્રતિનિધિઓ માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ‘અમે તમારા અને તમામ હાજર લોકો માટે પ્રાર્થના કરીએ છીએ.’ તેમની મુલાકાત દરમિયાન ઋષિ સુનકને સ્વામીનારાયણ અક્ષરધામની ઝાંખી આપવામાં આવી હતી.
અક્ષરધામ એ 100 એકરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે, જે ભારતની પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્યને ભવ્ય રીતે પ્રસ્તુત કરે છે અને શ્રદ્ધા, ભક્તિ અને સંવાદીતાના યુગતીત હિન્દુ આધ્યાત્મિક સંદેશાને ઉજાગર કરે છે.
વડાપ્રધાન સુનક અને તેમના પત્નીએ મુખ્ય મંદિરમાં પવિત્ર મૂર્તિઓના ખૂબ જ આદરપૂર્વક દર્શન તેમજ આરતી કર્યા હતા. તેમણે ભારતીય કળા અને સ્થાપત્યની ખૂબ પ્રશંસા કરી હતી. દંપતિએ વિશ્વ શાંતિ, પ્રગતિ અને સંવાદીતા માટે પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન સુનકે અક્ષરધામ મંદિર મુલાકાતને વર્ણવતા કહ્યું કે, ‘આજે સવારે દર્શન અને પૂજા માટે સ્વામીનારાયણ અક્ષરધામની મુલાકાત લઈને મને અને મારી પત્નીને આનંદ થયો. અમે આ મંદિરની સુંદરતા અને તેના શાંતિ, સંવાદીતા અને વધુ સારા માનવ બનવાના સાર્વત્રિક સંદેશથી અભિભૂત થઈ ગયા.

આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહન છે જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં ભારતના યોગદાનને પણ દર્શાવે છે. આજે બ્રિટીશ સમુદાયના સકારાત્મક યોગદાન દ્વારા સમગ્ર બ્રિટનમાં પણ આ જ ભારતીય મુલ્યો અને સંસ્કૃતિને આપણે જીવંત જોઈ શકીએ છીએ. આજે સવારે પરમપૂજય મહંત સ્વામી મહારાજે મને જે આશિર્વાદ પાઠવ્યા હતા તે આશિર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું.’
સંસ્થાના વરિષ્ઠ સંત પૂજય બ્રહ્મવિહારી દાસ સ્વામીએ ઉમેર્યું હતું કે, ‘વડાપ્રધાન સુનકનું સ્વામીનારાયણ અક્ષણધામમાં સ્વાગત કરવું અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજના શાંતિ, એકતા અને જનસેવાના સંદેશને લોકો સુધી પહોંચાડવો એ ગૌરવની વાત છે.
યુકેનો ભારત સાથેનો સંબંધ મિત્રતાના બંધન પર બાંધવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક આદાન-પ્રધાન તેમજ યુકેમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ મુલાકાત દ્વારા આ સંબંધને વધુ મજબૂત કરવા બદલ અમને આનંદ થયો.’ પ્રતિકુળ હવામાન છતાં બ્રિટીશ વડાપ્રધાને મંદિરમાં દર્શન અને પ્રાર્થનાના કાર્યમાં ભાગ લેવા માટે લગભગ એક કલાક જેટલો સમય ફાળવ્યો હતો.



