ગુજરાત

રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં 35 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે

રવિવારનો રજાનો દિવસ હોવાથી નામાંકિત સંતોષ ભેળ અને આસપાસની ખાણીપીણીની દુકાનોમાં લોકોનો જમાવડો થયો હતો: જે ભાગ તૂટ્યો તેના પર બનાવ વખતે 50થી 60 લોકો હાજર હતા

રાજકોટના સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં 35 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેમાં 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. યાજ્ઞિક રોડ પર વોકળા ઉપર બનાવેલ કોમ્પલેક્ષમાં સ્લેબ તૂટી પડતા બનાવ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી. રવિવારનો રજાનો દિવસ હોવાથી નામાંકિત સંતોષ ભેળ અને આસપાસની ખાણીપીણીની દુકાનોમાં લોકોનો જમાવડો થયો હતો. જે ભાગ તૂટ્યો તેના પર બનાવ વખતે 50થી 60 લોકો હાજર હતા તેવું જાણવા મળે છે. આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં એક તરફ ગણપતિ ઉત્સવનું આયોજન હતું તેની ભીડ હતી. બીજી તરફ અહીં સંતોષ ભેળ સહિતની ખાણીપીણીની દુકાનોમાં નાસ્તો કરવા લોકોની ભીડ જામી હતી. આ દુકાનો જે કોમ્પલેક્ષમાં આવેલી છે તે શિવમ કોમ્પલેક્ષ આશરે 30 વર્ષ જૂનું છે. આ બિલ્ડીંગ વોકળા ઉપર બનેલું છે. દુકાનોની આગળનો ખુલ્લો ભાગ વોકળા ઉપર સ્લેબ (છત) બાંધી બનાવ્યો છે. બનાવ વખતે અચાનક આ સ્લેબ તૂટી પડી હતી અને ચાલીસેક જેટલા લોકો સ્લેબ સાથે વોકળામાં પડ્યા હતા. જેમાં 20 જેટલા લોકોને સારવારમાં સિવિલ હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ, જી.ટી. શેઠ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મોટા ભાગના લોકો નાસ્તો કરવા આવ્યા હતા. ભેળની દુકાને લોકો નાસ્તો કરતા હતા ત્યારે અચાનક વોકળા પરનો સ્લેબ પડતા તેઓ વોકળામાં ખાબક્યા હતા. જેમાં અમૂકને નાકમાંથી લોહી વહી ગયું તો કેટલાકને ફ્રેકચર થયું છે. કેટલાકને નાની મોટી ઇજા થઇ હતી. સર્વેશ્વર ચોકમાં એક તરફ ગણેશ મહોત્સવમાં રવિવારને લીધે ભાવિકોની ભારે ભીડ જામી હતી તો બીજી તરફ ચોકમાં જ સ્થિત ભેળની દુકાને લોકો પરિવાર સાથે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે દુકાન પાસે ઉભેલા લોકો સ્લેબ તૂટતા વોકળામાં પડ્યા હતા. મોટા ભાગના લોકો પરિવાર સાથે જ આવ્યા હતા.

તો કેટલાક યુવાનો મિત્રો સાથે નાસ્તો કરવા આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ચિચિયારીઓ સંભળાઈ હતી. ભયંકર દ્રશ્યો નજરે નિહાળતા વ્યક્તિ જણાવે છે કે, અમે પણ ભેળની દુકાને નાસ્તો કરી ગણપતિના દર્શન કરવા પહોચ્યા ત્યાં ભયંકર અવાજ આવ્યો અને અમે ત્યાં દોડી ગયા. દરમિયાન ગણેશ મહોત્સવ સમિતિના સ્વયંસેવકો લોકોને વોકળામાંથી બહાર કાઢી રહ્યા હતા. અમૂકના નાકમાંથી લોહી વહી રહ્યા હતા તો કેટલાકને ફ્રેકચર આવી ગયું. જોકે થોડા સમયમાં 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ટીમ ત્યાં પહોચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તુરંત ત્યાં સારવાર અપાઈ હતી. તબીબી ટીમો ખડેપગે રહી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.

બનાવ બન્યો એ સ્થળ રાજકોટ શહેરના એ. ડિવિઝન પોલીસ મથકમાં આવે છે. બનાવ આશરે 9 વાગ્યા આસપાસ બન્યો હતો. એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરાએ ’સાંજ સમાચાર’ને જણાવ્યું કે, જાણ થતા જ એ.ડિવિઝન પોલીસ મથકની ટીમ સાથે અમે દોડી ગયા હતા. આસપાસથી સીડીઓ શોધી, દોરડા લાવી વોકળામાં પડેલ લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. સવાર સુધી મળેલી માહિતી મુજબ કોઈ વ્યક્તિનું મોત થયાની માહિતી મળતી નથી તેમ પીઆઈએ જણાવ્યું હતું.

આ તરફ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉપરાંત પોલીસ સ્ટાફ બચાવ કામગીરીમાં હતો. એ. ડિવિઝન પીઆઈ ધવલ હરિપરાની ટીમ ઘટના સ્થળે ખડેપગે હતી. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવા પ્ર.નગર પીઆઈ મેહુલ ગોંડલીયા તેમની ટીમ સાથે કામગીરીમાં લાગી ગયા હતા. ઉપરાંત ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ પણ સતત માર્ગદર્શનમાં રહ્યા હતા. પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી.

બનાવના પગલે 108ની એમ્બ્યુલન્સો દોડવાઈ હતી સાથે ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સો પણ દોડવાઈ હતી. ચીફ ફાયર ઓફિસર શ્રી ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર શ્રી જોબણ, શ્રી ઠેબા, ફાયર ફાઈટર શામળભાઈ, હરેશભાઇ શિયાળ, જયેશભાઈ ડાકી, સામતભાઈ મોઢવાડીયા, પરેશભાઈ ચૌધરી, જયપાલસિંહ, દિલીપસિંહ, એમ ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. ફાયર બ્રિગેડે 4 લોકોને પંચનાથ હોસ્પિટલમાં અને બે લોકોને જી.ટી. શેઠ હોસ્પિટલમાં જ્યારે 7 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

કોંગ્રેસ દ્વારા આ દુર્ઘટનાને લઈને ભાજપના શાસકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા અને અતુલ રાજાનીએ જણાવ્યું કે શહેરના 12 નાના વોકળા અને 28 મોટા વોકળા ભાજપનાં શાસકો દ્વારા વહેચી નાખવામાં આવ્યા છે. આજે અનેક પર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આ સાથે તેઓએ કલેકટર પ્રભવ જોશીનો ઘેરાવ કરી આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. ઉપરાંત તમામ ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તેવી રજૂઆત કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button