ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ
રાજકોટમાં 4 અને મેટોડામાં 1 યુવકનું મૃત્યુ

વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે.
બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશા માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે અને એટલે જ આવા કિસ્સા તરફ સમાજ કદાચ વધુ સંવેદનશીલ બન્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 યુવકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે.
શહેરની અંબિકા ટાઉશીપમાં રહેતા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 35 વર્ષીય લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર ગઈકાલે સવારે તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેઓનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
આવો જ ગઈકાલે મેટોડા જીઆઈડીસીમાં બન્યો હતો, GIDCમાં આવેલી વાલ્વ બનાવતી કંપનીમાં નોકરી કરતા અને કંપનીની પાછળ આવેલી ઓરડીમાં રહેતા 30 વર્ષીય વિજય માલુઆ સાંકેશ ગઈકાલે ઓરડીમાં રસોઈ બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સહકર્મીઓ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરીને તેઓને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.
ચોથા કિસ્સામાં રાજકોટના ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગર ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રાશીદખાન નત્થુખાન (ઉં.વ 34) તેમના ઘરે બેઠા હતા, ત્યારે બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મૂળ યુપીના વતની અને અહીં મજુરીકામ કરતા હતા. તેમના અકાળે મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે.