દિલ્હી શરાબકાંડમાં ‘આપ’ને આરોપી બનાવાશે
શરાબ ગોટાળાના નાણાનો ઉપયોગ ગોવા સહિતની ધારાસભા ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીએ કર્યો હોવાના એન્ફોર્સમેન્ટ વિભાગના તર્ક બાદ હવે દિલ્હીના શાસક પક્ષ સામે કાનુની કાર્યવાહી

દિલ્હીના શરાબ ગોટાળામાં સીબીઆઈ તથા ઈડી દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની ધરપકડ બાદ ગઈકાલે સાંસદ સંજયસિંહની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ શરાબ ગોટાળાના કારણે જે જંગી ભ્રષ્ટાચાર થયો તે નાણાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા સહિતની ધારાસભા ચુંટણી લડવામાં કર્યો હતો.
તેવા એન્ફોર્સમેન્ટ વિભાગના દાવા બાદ હવે આ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા તૈયારી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે મનીષ સીસોદીયાની જામીન અરજીની સુનાવણી સમયે એવું પૂછયુું હતું કે આ ગોટાળાથી આમ આદમી પાર્ટીને પણ જબરો નાણાકીય લાભ થયો છે તો શા માટે તેને આરોપી બનાવતા નથી.
આમ સર્વોચ્ચ અદાલતે જે સૂચન કર્યુ હતું તેનો અમલ કરવા ઈડીએ નિર્ણય લીધો છે અને ‘આપ’ ને પણ હવે આરોપી બનાવીને તેની સામે ચાર્જશીટ મુકશે. આજે મનીષ સીસોદીયાની જામીન અરજી સમયે ઈડી આ મુદે જાણ કરી શકે છે.
જો ખરેખર તેમ થાય તો ભ્રષ્ટાચારના કોઈ કેસમાં કોઈ રાજકીય પક્ષ આરોપી બન્યુ હોય તેવી આ સંભવત પ્રથમ ઘટના હશે અને તે મુદે રસપ્રદ કાનુની જંગ પણ છેડાશે.



