ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધથી સુરતના હીરા વેપારને મોટો ફટકો, કરોડોના બિઝનેસને અસર

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના હીરો ઉદ્યોગ પર પડી રહી છે. ગાઝાપટ્ટીમાં શરૂ થયેલા યુદ્ધના કારણે સુરત અને ઈઝરાયલ વચ્ચે અંદાજિત 4200 કરોડના હીરા ઉદ્યોગના વેપારને અસર થઈ છે. આ કારણે સુરતમાં ફરી એકવાર મંદીનું વાદળ છવાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઈઝરાયલમાં સુરતના 20 જેટલા ઉદ્યોગકારોની ઓફિસો આવેલી છે. આ ઓફિસોમાંથી અંદાજે 4200 કરોડ રૂપિયાના ડાયમંડનો બિઝનેસ થતો હોય છે. જોકે ઈઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચેના યુદ્ધના કારણે ભારતમાં સુરતના હીરા ઉદ્યોગકારોને અસર થઈ રહી છે. આ પહેલા કોરોનાની મહામારીના કારણે ઘણા સમયથી હીરા વેપાર ઠપ્પ હતો. જોકે હવે કોરોનાના કેસો જતા ફરી હીરા ઉદ્યોગ પાટા પર ધીમે ધીમે આવી રહ્યો હતો. એવામાં યુદ્ધની અસરે ફરી હીરા વેપારીઓની ચિંતા વધારી દીધી છે.
કોરોનાની મહામારીના કારણે અમેરિકા, યુરોપ તથા અન્ય દેશોમાં હીરા ઉદ્યોગને અસર થઈ હતી. હવે ઈઝરાયલ અને ગાઝાપટ્ટી વચ્ચેના યુદ્ધના કારણે દિવાળી પહેલા વેકેશન વહેલુ પડી જાય તેની પણ સંભાવના છે. તો રફ હીરાની આયાત પર ઘટાડવામાં આવી છે. આ કારણે હીરા કામદારો ચિંતિત બન્યા છે.