યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર લોકોને એક અપીલ કરી છે. પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં VVIPને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી છે
પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામ નગરી પહોંચી રહ્યા છે. યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક અપીલ કરી.

અયોધ્યાના શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામ નગરી પહોંચી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે લાખો ભક્તો રામલલાના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. માહિતી મુજબ પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક અપીલ કરી છે. પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે,
જેથી તેઓને વધુ સારી સુવિધા પુરી પાડી શકાય. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, દરેક લોકો આરામથી દર્શન કરી શકે એ માટે આ સૂચના બહાર પાડવામાં આવે છે, રામ નગરીમાં ભીડને ધ્યાનમાં રાખીને, VIP અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આગામી 7 થી 10 દિવસમાં અયોધ્યા ધામની મુલાકાતનું આયોજન કરતા પહેલા સ્થાનિક વહીવટીતંત્ર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા ઉત્તર પ્રદેશ સરકારને જાણ કરે.
બુધવારે પણ સવારથી જ રામ મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એવામાં હવે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. હવે ભક્તો સવારે 7 થી 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. ભક્તોની ભીડને જોતા ભીડ વ્યવસ્થાપન માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે.



