લોકમેળામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત મીટીંગોનો ધમધમાટ શરૂ 6 સેક્ટર 600થી વધુ પોલીસ જવાન સુરક્ષાનો મોરચો સંભાળશે
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ 12 પીઆઇ, 40 પીએસઆઇ અને અંદાજીત 600 પોલીસ જવાનો ‘રાજકોટીયન્સ’ લોકમેળો મોજથી માણી શકે તે માટે ખડે પગે રહેશે
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો જેની રાહ રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના લોકો જોતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મેળાનો લ્હાવો માણતા હોય છે. ત્યારે આગામી તા.24થી 28ના યોજાનાર લોકમેળામાં શહેરીજનો અને બહારથી મેળો માણવા આવતા લોકો સુરક્ષીત રીતે મેળાની મજા લઇ શકે તે માટે શહેર પોલીસ દ્વારા લોકમેળામાં ચકલુ પણ ન ભરકે તેવો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જેમાં અલગ-અલગ 6 સેક્ટર પાડવામાં આવ્યા છે. જેમાં ડીસીપી, 2 એસીપી, 12 પીઆઇ, 40 પીએસઆઇ સહિતના 600થી વધુ પોલીસ જવાનો સુરક્ષાનો મોરચો સંભાળશે.
થોડા સમય પહેલા જ અગ્નિકાંડ જેવી દુર્ઘટના રાજકોટવાસીએ જોઇ છે અને તંત્ર પણ હવે આવી દુર્ઘટના ન ઘટે તે માટે ખાસ પોલીસને વધુ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા પણ પોતાની કાર્યશૈલી મુજબ લોકમેળો શહેરીજનો કોઇ વિઘ્ન વગર માણી શકે તે માટે સજ્જ થયા છે.
પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી જગદીશ બાંગરવા અને ટીમે લોકમેળાના બંદોબસ્તની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ લોકમેળા ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં હાલ અંદાજીત બે એસીપીની રાહબરીમાં 12 પીઆઇ, 40 પીએસઆઇ અને 600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
જેમાં ખાસ રોમીયો સ્કવોડની રચના કરવામાં આવી છે. જે મેળામાં આવતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કે પજવણી કરતાં લુખ્ખાઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવશે. તેમજ લોકોના ખીસ્સા કાપી તેમાં રહેલા પર્સ, મોબાઇલ, રોકડ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી કરી નાસી છૂટતા ખીસ્સા કાતરુઓ ઉપર પોકેટ સ્કવોડ નજર રાખશે તેમજ 24 વોર્ચસ ટાવર બનાવવામાં આવશે.
જે આકાશી તેમજ જમીની સુરક્ષાની જવાબદારી સંભાળશે તેમજ મેળામાં વધુ પડતા થતાં ટ્રાફીક પર પણ વોચ રાખશે. ઉપરાંત મેળામાં આવતા નાના બાળકો જો ગુમ થઇ જાય તો તેના માટે પણ એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી-ટીમ પણ ખડે પગે રહેશે તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ફરતે બેસતા ફેરીયાઓ લોકોને હાલવા-ચાલવામાં મુશ્કેલીરૂપ ન થાય તે માટે પણ ખાસ સ્કવોડની રચના કરવામાં આવી છે.
રાજકોટમાં થયેલ અગ્નિકાંડના આંસુ હજુ લોકોને સુકાયા નથી જેથી સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળામાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તંત્ર સાબદુ બન્યું છે અને હાલ કોઇ મોટી દુર્ઘટના બનવા પામે તો પોલીસને આગળ કરવાની પેરવી ચાલતી હોય તેવું સામે આવી રહ્યું છે.
કેટલીક સમિતિઓમાં પોલીસનો રોલ ન હોવા છતાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવું પોલીસ સુત્રોમાંથી ચર્ચાઇ રહ્યું છે અને સામે પોલીસ પણ પોતાની લો એન્ડ ઓર્ડરની જ જવાબદારી હોય તે પ્રકારનું કામ હાથમાં લેવા માંગે છે. જો મેળામાં વધુ ટ્રાફિક થાય તો તેને મેન્ટેન કરવાની જવાબદારી પણ પોલીસને સોંપવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી. તો પોલીસ પણ દુધના દાઝ્યા છાસ પણ ફુંકી ફુંકીને પીવા માંડે છે. જો મેળાનો સમય (સવારે 10 થી રાત્રે 11) મુજબ ટ્રાફિક વધુ લાગશે તો પોલીસ પણ મોટી જવાબદારી લીધા વિના મેળાના ગેઇટ વહેલા પણ બંધ કરી શકે છે.



