સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાના બાળકોને વીર સાવરકરના કેસરી કલરના ટીશર્ટ પહેરાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો
તિરંગા યાત્રામાં ગાંધી-સરદારને બદલે સાવરકરના ટી-શર્ટ! કોંગ્રેસ નેતાએ સરકારનો ઉધડો લીધો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાના બાળકોને વીર સાવરકરના કેસરી કલરના ટીશર્ટ પહેરાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસ લાલઘુમ થઈ ગઈ છે. બાળકોના મનમાં દુષ્પ્રચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કહ્યું છે કે, શાળાના બાળકોના મનમાં ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવા માંગે છે.
કોંગ્રેસની ન્યાય યાત્રા ચોટીલાથી ડોળીયા જવા નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં સાંગણી ગામ ભાજપની તિરંગા યાત્રા જોવા મળી હતી. તિરંગા યાત્રા દરમિયાન સાંગણી શાળાના બાળકોને કોંગ્રેસે વીર સાવરકરની કેસરી ટી-શર્ટમાં જોયા હતા. જે બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારને આડે હાથ લઈને કેસરી ટીશર્ટ સાથે ભારતીય જનતા પાર્ટીનો ઉધડો લીધો હતો.
આ મામલે કોંગ્રેસના માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને આપણા દેશના મહાન લડવૈયાને બદલે વીર સાવરકરની ટીશર્ટો પહેરાવી રહી છે. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલએ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. આ પ્રકારના કેસરી ટી-શર્ટ ચોટીલા તાલુકામાં 10 હજાર જેટલા વેચાયા હોવાની રજૂઆત અમને મળી છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ કહ્યું કે, સાંગણી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને સાવરકરની ટીશર્ટ પહેરાવી છે. બાળકોનો સ્કૂલ ડ્રેસ દબાવી ઉપર સાવરકરના ફોટાવાળી કેસરી ટીશર્ટ પહેરાવીને યાત્રા કાઢી છે. આજે ગાંધીજીની હત્યામાં જેમણે ષડયંત્ર કર્યું હતું એ આરએસએસના સાવરકરની કેસરી ટીશર્ટ પહેરાવી કાલે ઉઠીને તમને ગોડસે કે દાઉદનુ ટીશર્ટ આપશે તો એ પહેરવા દેશો.