જવાહર ચાવડાએ ફરી એક લેટર પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે કે જૂનાગઢ કમલમ કાર્યાલય જ ગેરકાયદેસર છે
X પર પીએમ મોદીને સંબોધીને ફરી જવાહર ચાવડાએ લેટર વોર શરૂ કર્યું છે. તેમણે લેટર પોસ્ટ કરીને જૂનાગઢમાં કમલમ કાર્યાલય બનાવવા માટે તમામ શરતોનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

જૂનાગઢ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ફરી એકવાર જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. X પર પીએમ મોદીને સંબોધીને ફરી જવાહર ચાવડાએ લેટર વોર શરૂ કર્યું છે. તેમણે લેટર પોસ્ટ કરીને જૂનાગઢમાં કમલમ કાર્યાલય બનાવવા માટે તમામ શરતોનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે બિનખેતી જમીન કરાવ્યા બાદ નિયમો તોડીને કાર્યાલય બનાવવામાં આવ્યું છે.
2017માં જયારે જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા, ત્યારે કાર્યાલય ગેરકાયદે હોવાનો પત્ર લખ્યો હતો. ત્યારે હવે 2017ના પત્રને ફરીથી પોસ્ટ કરીને PM મોદીને ટાંકીને ફરિયાદ કરી છે. મહત્ત્વનું છે કે વર્ષ 2017માં કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતા. 8 માર્ચ 2019એ જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ કિરીટ પટેલે વોકળામાં દબાણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને આડેહાથ લીધા હતા. તેમણે PM મોદીને ટાંકીને લખેલા પત્રમાં કિરીટ પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરીને સત્તાલાલસામાં રાચતા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. તેમણે કિરીટ પટેલ પર આરોપ લગાવ્યો કે તેમણે વોકળા ઉપર કરેલા દબાણને કારણે જ શહેરમાં પૂર આવ્યું. સાથે જ તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એકસાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ PMને રજૂઆત કરી હતી.
જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ લગાવ્યા કે વિવિધ વિભાગોમાં હપ્તાખોરી અને ભ્રષ્ટાચારને કારણે પક્ષને નીચું જોવું પડે તેવું કૃત્ય કર્યું છે. પક્ષના પ્રમુખે જ વોકળા પર દબાણ કર્યું છે. તેમજ કનુભાઈ ભાલાળા, ઠાકરશીભાઈ જાવીયા, માધાભાઈ બોરીચાએ પણ ફરિયાદ કરી છે. જવાહર ચાવડાના PMને લખેલા પત્રને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.