ભારતીય જનતા પક્ષે તેની બીજી યાદીમાં કેટલાક રસપ્રદ નામોને જાહેર કરીને 370 બેઠકો જીતવાના લક્ષ્યાંકને આગળ ધરવામાં આવ્યો છે.
ત્રણ પુર્વ મુખ્યમંત્રીઓ મનહરલાલ ખટ્ટર, બાસવરાજ બોમ્મઈ અને તિરથસિંઘ રાવત સહિત સાત પુર્વ CM ચૂંટણી લડશે એકમાત્ર રમેશ પોખરીયાલ કપાયા
ભારતીય જનતા પક્ષે તેની બીજી યાદીમાં કેટલાક રસપ્રદ નામોને જાહેર કરીને 370 બેઠકો જીતવાના લક્ષ્યાંકને આગળ ધરવામાં આવ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યાના 10 દિવસ બાદ બીજી અને તે પણ 72 ઉમેદવારોની જ જાહેરાત કરી છે. પક્ષે તેની યાદીમાં 34 નવા ચહેરાઓને ટિકીટ આપી છે. તેલંગાણામાં હજુ ચાર દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયેલા ચાર નેતાઓને ટિકીટ મળી છે. કુલ 72 નામો જાહેર થયા તેમાં નવ રાજય અને બે કેન્દ્રશાસીત પ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં 20 નામો, કર્ણાટકમાં 20, ગુજરાતમા સાત, હરીયાણામાં છ, તેલંગાણામાં છ, મધ્યપ્રદેશમાં પાંચ, હિમાચલમાં બે, દિલ્હીમાં બે, ઉતરાખંડમાં પણ બે જયારે દાદરાનગર હવેલીમાં એક તેમજ ત્રિપુરાની એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.
કુલ પાંચ કેન્દ્રીય મંત્રીઓને ફરી ટિકીટ આપવામાં આવી છે જેમાં નિતીન ગડકરીનું નામ સૌથી પ્રથમ ક્રમે છે. આ ચુંટણીમાં ગડકરીને ટિકીટ નહી મળે તેવી લાંબી ચર્ચા હતી અને મહારાષ્ટ્રમાં શિવસેના (યુટીજી) ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને મહાગઠબંધનમાં સામેલ થઈ જવા આમંત્રણ પણ આપી દીધુ હતું પણ ગડકરી ફરી નાગપુરથી ચુંટણી લડશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર અને રાવ ઈન્દ્રજીતસિંહ ને ટિકીટ મળી છે.
આમ કુલ 39 કેન્દ્રીય મંત્રીઓને ફરી ટિકીટ મળી છે. પિયુષ ગોયલ લગભગ ચાર દશકાથી રાજકારણમાં છે પરંતુ તેઓ સતત રાજયસભામાં ચુંટાતા હતા અને પ્રથમ વખત તેઓ લોકસભા ચુંટણી લડશે. આમ ભાજપે તેના નેતાઓને લોકોની મંજુરી સાથે સંસદમાં આવવા જણાવ્યું છે તેનો પડઘો પડયો છે. જેની સામે બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાંથી દર્શના જરદોશ અને મહારાષ્ટ્રમાંથી ચંદ્રકાંત દલાલની ટિકીટ કપાઈ છે.
ભાજપે કુલ 30 સાંસદ બદલ્યા છે. કર્ણાટકમાં સદાનંદ ગૌડાએ રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો. આ ઉપરાંત દિલ્હીમાં બે, ઉતરાખંડમાં બે, ગુજરાતમાં પાંચ, હરિયાણામાં બે, કર્ણાટકમાં નવ, મધ્યપ્રદેશમાં બે, મહારાષ્ટ્રમાં પાંચ, તેલંગાણામાં બે અને ત્રિપુરામાં એક સીટીંગ સાંસદની ટિકીટ કપાઈ છે. કર્ણાટકમાં સૌથી વધુ સાંસદોની ટિકીટ કપાઈ છે. જેમાં મૈસુરના સાંસદ પ્રતાપસિન્હાની ટિકીટ કપાઈ છે.
તેઓ હાલમાં જ સંસદ સુરક્ષા કાંડમાં જે વિઝીટર ગેલેરીમાંથી બે વ્યક્તિઓએ લોકસભામાં કુદકો માર્યો હતો તે બંનેના સંસદ પ્રવેશના પાસ પ્રતાપસિન્હાએ બનાવી આપ્યા હતા અને આમ વિઝીટરને પાસ બનાવી આપનાર સાંસદ હવે ખુદ સંસદમાં પ્રવેશી શકશે નહી. આ ઉપરાંત કર્ણાટકના નલીનકુમાર કતીલની ટિકીટ પણ કપાઈ છે. જેઓ પોતાના વિવાદાસ્પદ વિધાનોથી ચર્ચામાં હતા. પહેલી યાદીમાં 33ની ટિકીટ કમાણી હતી. ભાજપે કુલ 267 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં 67ની ટિકીટ કપાઈ છે અને 143 સીટીંગ યથાવત રહ્યા છે.
બાકીની બેઠક પર ભાજપ ચુંટણી જીત્યુ ન હતું. પક્ષે ત્રણ પુર્વ મુખ્યમંત્રીઓ મનહરલાલ ખટ્ટર (કર્નાલ હરીયાણા), બાસવરાજ બોમ્મઈ (કર્ણાટક હાવેરી) અને તિરથરાજ રાવતને હરીદ્વારની ટિકીટ આપી છે. અગાઉની યાદીમાં શિવરાજ ચૌહાણ, બિપ્લવ દેવ, સદાનંદ સોનેવાલ, અર્જુન મુંડાને ટિકીટ આપી હતી. આમ કુલ સાત પુર્વ મુખ્યમંત્રીઓ ચુંટણી લડશે જયારે પુર્વ મુખ્યમંત્રી રમેશ પોખરીયાલની ટિકીટ કપાઈ છે. પક્ષે આ સાથે મધ્યપ્રદેશની તમામ 29, છતીસગઢની 11, દિલ્હી 7, ઉતરાખંડ 5, ત્રિપુરા બે અને દાદરાનગર હવેલી- કેન્દ્રશાસીત પ્રદેશની એક બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.
ભાજપે પ્રથમ બે યાદીમાં હજુ સુધી બિહાર અને ઓડીસાની બેઠક પર એક પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ઓડીસામાં ભાજપ અને બીજુ જનતાદળ વચ્ચે ચુંટણી સમજુતીની ચર્ચા છે. પરંતુ હજુ સુધી તેમાં આખરી નિર્ણય લેવાયો નથી જયારે બિહારમાં નિતીશકુમાર અને નિતીશકુમારના પક્ષ જનતાદળ યુ સાથે ભાજપ ચુંટણી લડશે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અહી પક્ષે લોકજનશક્તિ પાર્ટીના આંતરિક વિખવાદમાં હવે પ્રથમ વખત સ્પષ્ટ વલણ લીધુ છે.
પુર્વ કેન્દ્રીયમંત્રી સ્વ. રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને ભાજપે આ પક્ષના વડા તરીકે માન્ય રાખ્યા છે અને તેમને પાંચ બેઠક પર ચુંટણી લડવા માટે સમજુતી કરી છે જયારે સ્વ.રામવિલાસ પાસવાનના ભાઈ અને ચિરાગના કાકા કે જે પક્ષના બીજા જુથનું નેતૃત્વ કરે છે તે પશુપતિ પાસવાનને એકપણ ટિકીટ ન આપવા અને વધુમાં વધુ તેમના પુત્ર પ્રિન્સ પાસવાનને બિહારમાં મંત્રી બનાવવાની ઓફર કરી છે



