ગુજરાતબ્રેકીંગ ન્યુઝ
આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે,
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આજે આપ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. હજુ ગઈકાલે જ આ બંને નેતાઓનું નામ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં જાહેર કરાયું હતું. એકાએક બંને નેતાઓએ રાજીનામું ધરી દેતાં આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે.
પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલાં આ બંને નેતાઓએ આજે આપમાંથી રાજીનામું આપ્યું છે. બંને નેતાઓએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને લેખિત રાજીનામું આપ્યું છે. હાલમાં જે રીતે હવા છે તે જોતાં બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલની સરકાર વખતે રાજ્યમાં અનામતની માંગણી સાથે પાટીદારોએ આંદોલન છેડ્યું હતું. ત્યારે હાર્દિક પટેલની સાથે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પાટીદાર આંદોલન સમિતિના અગ્ર હરોળના નેતા તરીકે ઉપસીને બહાર આવ્યા હતા. સુરતમાં પાટીદાર આંદોલનની સફળતામાં આ બંને યુવાન નેતાઓનો મોટો હાથ હતો.
પાટીદાર આંદોલન બાદ ધાર્મિક અને અલ્પેશ આપમાં જોડાયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેઓ આપમાં જોડાયા હતા. સુરતમાં ધાર્મિક અને અલ્પેશને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવતા હતા. આ બંને નેતાઓએ અચાનક રાજીનામું ધરી દેતાં આપને લોકસભાની ચૂંટણી પહેલાં મોટું નુકસાન થયું છે.
[democracy -id="2"]



